ભચાઉ તાલુકામાં 486 લાખના ખર્ચે બે નવા માર્ગનું નિર્માણ થશે
ભચાઉ તાલુકાના લુણવાથી ચોપડવા તથા પાંકડસરથી ગુણાતીતપુરના રોડ રૂા. 486. 14 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ બંને માર્ગનું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. સરકાર ગામડાંના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું તેમણે કહ્યું હતું. આ વેળાએ અરજણભાઇ રબારી, જનકસિંહ જાડેજા, ઘેલાભાઇ ચાવડા, વિકાસ રાજગોર, ગંભીરસિંહ જાડેજા, વાઘજીભાઇ છાંગા, ગોવિંદભાઇ, બાબુભાઇ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
લોકોની માંગ સંતોષાતાં તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી. લુણવા-ચોપડવા માર્ગ પર કોઝવેની જગ્યાએ બોક્સ કલવર્ટની કામગીરી કરવામાં આવશે, જેથી ચોમાસામાં લોકોને રાહત થશે. આ માર્ગ 244. 50 લાખના ખર્ચે નિર્માણ પામશે. પાંકડસરથી ગુણાતીતપુરનો 4. 3 કિ. મી. માર્ગ નિર્માણ પામશે. આ માર્ગનું 241. 64 લાખના ખર્ચે નિર્માણ થશે. આ બંને માર્ગના નિર્માણથી આ પંથકના તથા આસપાસના પ્રજાજનોને ચોમાસામાં થતી મુશ્કેલી દૂર થશે. લોકોને આવાગમન તથા આરોગ્ય સુખાકારીના આકસ્મિક સમયે સુવિધામાં વધારો થશે. આ વેળાએ લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
Post a Comment