કચ્છ - ભુજ - ચારે તરફથી વગોવાયેલી પાલારા જેલના સ્ટાફે આખરે ફોન શોધ્યા!
હનીટ્રેપના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવેલી ભુજની પાલારા જેલ સુરક્ષા મુદ્દે ચારે તરફથી વગોવાયેલી છે. એલસીબીએ આ જેલમાંથી મહિનાના ટુંકા ગાળામાં બે વખત મોબાઇલ ફોન ઝડપી પાડ્યા હતા. જે બાદ પાલરા જેલના સ્ટાફનું નાક કપાતા રવિવારે આખરે સ્થાનિક પાલારા જેલના સ્ટાફે મોબાઇલ શોધીને પોતાની કામગીરી બતાવી હતી. હવે જોવાનું એ છે કે આ મોબાઇલ કોના છે અને કેવી રીતે જેલની અંદર પહોંચ્યા અગાઉ પણ જેલમાં મોબાઇલ મળી આવ્યા છે, ફરિયાદ થઇ છે પણ કોના છે તે સામે આવ્યા નથી. જે પણ એક હકીકત છે.
પાલારા જેલના જેલર કિશોરસિંહ ઝાલાએ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે યાર્ડ નંબર 11 ની બેરેક નંબર 10 ની અંદરના ભાગે ચોકડીની ગટર લાઇનમાંથી નોકીઆ કંપનીનો સીમકાર્ડ વગરનો ચાલુ હાલતમાં મોબાઇલ અને સેમસંગનો ચાર્જર પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી હાલતમાં મળી આવ્યો હતો. તથા યાર્ડ નંબર 7 ની બેરેક નંબર 2 માં ચોકડીની ગટર લાઇનમાંથી એમઆઇ કંપનીનો બેટરી સાથેનો એન્ડ્રોઇડ મોબાઇલ ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.
સેમસંગના ઇયરફોન પણ મળી આવ્યા હતા. સીમકાર્ડ વગરના આ મોબાઇલમાં પેટન લોક હોવાથી કોઇ વિગતો મળી શકી ન હતી. જેથી મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે 28 તારીખે પાલારા જેલમાંથી એક મોબાઇલ અને ગત 11 જૂનના 3 મોબાઇલ મળી આવ્યા હતા. ત્યારે હવે પાલારા જેલે ફોન શોધી કાઢ્યા છે.
Post a Comment