ગાંધીધામ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો અંગે રજૂઆત
નગરપાલિકામાં સફાઈનું કાર્ય કરતા કામદારોના વિવિધ પડતર પ્રશ્નોનો નિવેડો લાવવા માંગ ઊઠી હતી. નગરપાલિકામાં વાલ્મિકિ સમાજના આશરે 300 જેટલા કામદાર કામ કરે છે, જે પૈકી 100 જેટલા કામદારને કાયમી કરવાના હક્કોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. કાયમી સફાઈ કામદારોને પગારપંચનું એરિયર્સ ચૂકવવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં અન્ય ટકાવારીવાળા બિલોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જે સુધરાઈમાં સફાઈના કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા હોય, તો આ પ્રથા બંદ કરી કામદારોનો 11 માસનો કરાર હેઠળ સમાવેશ કરવા અંગે પ્રાદેશિક કમિશ્નર દ્વારા સૂચના અપાઈ હતી, પરંતુ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
ઠેકેદારી પ્રથાના કામદારોને લઘુતમ વેતન વધારા હેઠળ તા. 1થી 10 સુધીમાં પગાર આપવું તેમજ પ્રોવિડન્ડ ફંડ, સાપ્તાહિક રજા, વિમો વગેરે લાભો એપ્રિલ 2023થી આપવા ગુજરાત સફાઈ કામદાર મહામંડળના મહામંત્રી અને કચ્છ જિલ્લા ભાજપ સફાઈ કામદાર સેલના સંયોજક શિવજીભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ સફાઈ કામદાર સેલના દિનેશભાઈ વાણિયા, વાલ્મિકિ સમાજ આદિપુર પ્રમુખ ભરતભાઈ વાઘેલા, નગરસેવક ચમનભાઈ મકવાણા, એસ. સી. મોર્ચાના વિનોદભાઈ ગવાણિયા વગેરે દ્વારા નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી અને મુખ્ય અધિકારીને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. '
Post a Comment