શેખડીયામાં આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડનો કેમ્પ યોજાયો
સરકારી તંત્ર સાથે સ્વૈચ્છિક સંસ્થા પણ સેવાકાર્યમાં જોડાઈ
રતાડીયા (ગણેશવાલા), તા.12: વર્તમાન સમયમાં દર્દીઓના પરિવારને માંદગી સમયે આર્થિક મુશ્કેલી સામે નાણાંકીય સહાય પુરી પાડતી યોજના એટલે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય - આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત સામાન્ય બીમારી સાથે અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓની સારવાર કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ માટે જરૂરી એવું આયુષ્યમાન કાર્ડ બનાવવા સરકારી તંત્ર તો કાર્ય કરે જ છે પરંતુ આ સેવાકાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સામેલ કરવાના અભિગમને આગળ ધપાવતા તાજેતરમાં તાલુકા આરોગ્ય કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શેખડીયાની પ્રાથમિક શાળામાં આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડના કેમ્પનું આયોજન કરીને નવતર શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગામના મહિલા અગ્રણી દેવલબેન ગઢવી, કવિ આલ તથા શાળાના આચાર્ય અલ્પેશ સેનમા સહયોગી રહ્યા હતા.
જ્યારે કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાડીયાના સુપરવાઈઝર પ્રકાશ ઠકકર અને તેમની ટિમ ગીરીશ પટેલ, રાજદીપ ડોડીયા, સંજય સોલંકી, અમિત મહેશ્વરી, જ્યોતિબેન આંબલિયા, ગીતાબેન માતા, દેવકાબેન મહેશ્વરી, મહેન્દ્ર વાધેલા તથા અદાણી ફાઉન્ડેશનના મનહર ચાવડા, વિજય ગોસાઈ, રાધુ ગોયલ, અશોક સોધમ તથા જશરાજ સોધમે જહેમત ઉઠાવી હતી. સાથે આરોગ્યની ટિમ દ્વારા બાળકોને રસીકરણ અને ઘરે ઘરે પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી.
Post a Comment