આદિપુરમાં વધુ એક વખત એ જર્જરિત ઈમારતમાંથી કાટમાળ પડયો
ગાંધીધામ, અહીંના આદિપુરના વોર્ડ ચારમા આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં આજે બપોરના અરસામાં અચાનક છજું તૂટીને નીચે પટકાયું હતું. જો કે, આસપાસમાં કોઈ હાજર ન હોતા મોટી જાનહાની ટળી હતી. આદિપુરના વોર્ડ ચાર-એમાં આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં અગાઉ ચોકીદારની પત્ની અને પુત્રી ઓરડીમાં સૂતા હતા. ત્યારે એકાએક ઉપરના માળેથી છજું તૂટીને ઓરડી ઉપર પટકાયું હતું, જેમાં કુમળી વયની બાળકીને ગંભીર ઈજાઓ થતા મોતને ભેટી હતી તેમજ મહિલાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ બનાવ પરથી કોઈ બોધપાઠ ના લેવાયો હોય તેમ આજે બપોરના અરસામાં વધુ એક વખત આજ' બિલ્ડિંગમાંથી ધડાકા સાથે ઉપરના માળેથી બાલ્કનીની છત તૂટીને નીચે પડી હતી.
જેને પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો, પરંતુ સદનસીબે બનાવ સ્થળે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ ઘટનામાં નીચે ઊભેલા વાહનને પણ નુકસાન પહોચ્યું હોવાની ચર્ચા ઊઠી હતી. જો કે, આ બાબતે સતાવાર સમર્થન સાંપડયું ન હતું. નોંધપાત્ર છે કે, ગાંધીધામ-આદિપુરમાં ગાંધીમાર્કેટ, શાકમાર્કેટ વગેરે અનેક સ્થળોએ જોખમી અને જર્જરિત ઈમારતો મોતનો માચડો બનીને લટકી રહી છે. નગરપાલિકા દ્વારા કેટલીક બિલ્ડિંગના સંચાલકોને નોટિસ પણ આપવામાં આવી હતી, જેમાં ઘનશ્યામ એપાર્ટમેન્ટ તોડી પાડવા પણ નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી આગળ વધી શકી નથી. આ દરમ્યાન આજે છઠ્ઠું તૂટવાનો બનાવ સપાટી પર આવ્યો હતો. ત્યારે વારંવારની ઘટનાઓ પરથી બોધપાઠ લેવાશે, કે વધુ કોઈ મહામૂલી માનવ જીંદગીનો ભોગ લેવાશે, તેવો સવાલ લોકોમાં ઊઠી રહ્યો છે
Post a Comment